Daily Darshan 2
એક તો જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય તેમ જે પુત્ર-કળત્રાદિકમાં ચોંટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોંટે માટે એક તો એ ઉપાય છે. અને બીજો ઉપાય એ છે જે અતિશે શૂરવીરપણું, તે શૂરવીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો પોતે શૂરવીર ભક્ત છે માટે તેના હૃદયમાં અતિશે વિચાર ઊપજે તે વિચારે કરીને ઘાટ માત્ર ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે તે જેના હૃદયને વિષે જન્મ, મૃત્યુ ને નરકચોરાશી તેની બીક અતિશે રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે, તે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્ય શાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વ માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિષે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતવન કરે અને એ ચાર ઉપાય વિના જે ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય, પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહે નહિ અને ભગવાનને વિષે અખંડ વૃત્તિ રહેવી તે તો ઘણું ભારે કામ છે તે જેને અનેક જન્મનાં સુકૃત ઉદે થયાં હોય તેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે ને બીજાને તો અખંડ વૃત્તિ રાખવી મહા દુર્લભ છે. (મ. ૩૬)